ડભોઈથી કરનેટ થઈને સંખેડાને જોડતો અતિ મહત્વનો માર્ગ હાલમાં અત્યંત દયનીય હાલતમાં છે. સમગ્ર રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગ પર વાહનો હંકારવા હવે એક કપરું કાર્ય બની ગયું છે. ખાડા એટલા ઊંડા છે કે વાહનોની ગતિ ધીમી કરવી પડે છે, પરિણામે ટ્રાફિક ધીમો પડી જાય છે અને અકસ્માતનો ભય પણ વધે છે. ડભોઈ-સંખેડા વચ્ચે અવરજવર કરતા હજારો લોકોને આ ખરાબ રસ્તાને કારણે રોજ મુશ્કેલી વેઠવી પડે છે.
સામાન્ય રીતે ચોમાસું સમાપ્ત થયા બાદ તંત્ર દ્વારા માર્ગો પરના ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ ચોમાસું પૂરું થયાના લાંબા સમય બાદ પણ હાલ સુધી આ માર્ગ પર ખાડા પૂરવાનું કામ શરૂ થયું નથી. સ્થાનિક લોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ રસ્તાની ખરાબ હાલતનો સૌથી વધુ ભોગ ઈમરજન્સી સેવાઓ અને શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે જે અંતર કાપવામાં માત્ર ૧૫ મિનિટ જેટલો સમય લાગતો હતો, તે જ અંતર કાપવામાં હવે એક એક કલાક જેટલો સમય વેડફાય છે. ખાસ કરીને સ્કૂલ બસો અને ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી સેવાઓ સમયસર પહોંચી શકતી નથી, જેના કારણે જીવનજરૂરી કામોમાં મોટો વિલંબ થઈ રહ્યો છે.આ ગામના લોકોની લાગતા-વળગતા અધિકારીઓ અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ પ્રબળ માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ પરના તમામ ખાડાઓ પૂરવામાં આવે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે. લોકોએ તાકીદ કરી છે કે તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવે જેથી રોજિંદા અવરજવર કરતા લોકોને રાહત મળી શકે અને અકસ્માતોને ટાળી શકાય.

