છોટાઉદેપુર: નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પાણીના સંપમાં મૃત ગરોળી અને કાચિંડો જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ ઘટના સામે આવતા ઇન્દોર જેવી દુષિત પાણીથી ફેલાતી બીમારીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પલાસણી ગામે આવેલી પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર સંપમાંથી જ ગામના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં સંપમાં મૃત પ્રાણીઓ મળતા પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મોધલાં બેઠકના નસવાડી તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે ઓચિંતી મુલાકાત દરમિયાન આ મામલો જાહેર કર્યો હતો. તેમની તપાસ દરમ્યાન સંપના પાણી ઉપર જ મૃત ગરોળી અને કાચિંડો તરતા જોવા મળ્યા હતા. વિપિન પરમારે બંનેને જાતે સંપમાંથી બહાર કાઢી ગ્રામજનોને આવું દુષિત પાણી પુરવઠામાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, “સરકાર આદિવાસી વિસ્તારોમાં પાણી સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ ફિલ્ટર પાણીના સંપની યોગ્ય સફાઈ થતી નથી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દુષિત પાણીના કારણે અનેક લોકોના મોત થયા અને અનેક હોસ્પિટલમાં દાખલ છે. એવી ઘટના અહીં ન બને તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.”
વિપિન પરમારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, નવો સંપ બનાવવામાં આવ્યો હોવા છતાં તેમાંનું પાણી કોતરોમાં વેડફાઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આવું પાણી પીવાથી જો ગામમાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? મેં જાતે સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો કાઢ્યા છે. તાત્કાલિક સફાઈ કરાવી અધિકારીઓએ સ્થળ પર આવી તપાસ કરવી જોઈએ.”
આ ઘટનાને પગલે જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ પલાસણી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા ઉઠી રહી છે.

