વડોદરાની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં મનોદિવ્યાંગ બાળકો માટે પ્રવેશોત્સવ, અતુલ પુરોહિત અને રાજેશ પટેલે ૧૨ બાળકોની જવાબદારી સ્વીકારી
વડોદરા શહેરની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના ઉપાસક અતુલભાઈ પુરોહિત તથા મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુસેવા સમજનારા રાજેશભાઈ પટેલના સહિયારા પ્રયાસોથી શાળાની સેવાઓ જનમાનસ સુધી પહોંચી છે, જેના પરિણામે પ્રથમ વખત ૧૨ જેટલા બાળકો માટે ખાસ પ્રવેશોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અતુલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ એવા મંદિરસમાન સ્થળ છે, જ્યાં શિખર કે ધજા નહીં પરંતુ નિઃસ્વાર્થ સેવાની ભાવના છે. તેમણે કહ્યું કે રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ વિકાસ પામી રહેલા ૧૨૨ મનોદિવ્યાંગ બાળકોમાં હવે વધુ ૧૭ બાળકોનો ઉમેરો થયો છે.
પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને સ્કૂલબેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, લંચ બોક્સ, વોટર બોટલ તેમજ બુટ સહિત અભ્યાસ માટે જરૂરી તમામ સામગ્રી ભેટમાં આપવામાં આવી હતી. અતુલભાઈ પુરોહિતે નાગરિકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારી તેમના વિકાસમાં સહભાગી બને.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૦થી આસ્થા ફાઉન્ડેશન દ્વારા તાલીમબદ્ધ ૨૪ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સંભાળ અને શિક્ષણની કામગીરી કરી રહ્યા છે.

