અસાધ્ય રોગથી પીડિત દર્દીને મળી નવી જીવનદોરી
તાજેતરમાં વિસાવદરના એક દર્દીબેનને ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ખાતે સારવાર દરમિયાન નવજીવન મળ્યાનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે.
સન 1969માં સ્થાપિત આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલનો મુખ્ય હેતુ ભગવાન ધન્વંતરી, સુશ્રુત અને ચરક જેવા ઋષિઓના જ્ઞાનના આધારે લોકોને નિરોગી અને નિરામય જીવન તરફ દોરી જવાનો રહ્યો છે. હોસ્પિટલ સાથે આયુર્વેદ કોલેજ પણ સંચાલિત થાય છે. અહીં કાયચિકિત્સા, પંચકર્મ (નેતિ, બસ્તિ, વિરેચન), સ્ત્રીરોગ, હરસ-મસા, ભગંદર સહિત અનેક રોગોની વિનામૂલ્ય સારવાર આપવામાં આવે છે.
હોસ્પિટલમાં આયુર્વેદિક ઔષધો, ચૂર્ણ, ગૌમૂત્ર અર્ક તેમજ હોલિસ્ટિક પદ્ધતિ—દૈવિક ઉપાસના, સત્વાવજ્ય ચિકિત્સા અને મોટિવેશન દ્વારા દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં આવે છે. રોજબરોજ આશરે 550 દર્દીઓની ઓપીડી થાય છે અને દાખલ દર્દીઓને પથ્ય-અપથ્યનું માર્ગદર્શન તથા સાત્વિક આહાર (તલના તેલ સાથે) વિનામૂલ્ય આપવામાં આવે છે.
અમરેલી જિલ્લાના જહાનવીબેન અતુલકુમાર જેઠવા નામની દર્દી જલોદર (એસાઇટીસ) જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. અનેક એલોપેથીક હોસ્પિટલોમાં સારવાર બાદ પણ ઉપાય ન મળતા, વિસાવદરના વેદોના માર્ગદર્શનથી તેઓ જુનાગઢની આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ થયા. અહીંના કુશળ વૈદ્યોના માર્ગદર્શન હેઠળ સારવાર લેતા તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવતા થયા છે.
હોસ્પિટલના આરએમઓ શ્રી પોપટસાહેબ તથા વૈદ અતુલ સતાસિયા, વૈદ ભરત મુઁગરા, વૈદ નિલેશ ભાદરકા, વૈદ સંજય પોપટ, વૈદ કૃષ્ણા થાનકી, વૈદ ચારુ શાહ સહિતના નિષ્ણાત ડોક્ટરો અને કર્મચારીઓની ટીમ દર્દીઓની સેવા માટે કાર્યરત છે.
આ સફળતા અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. દર્દીઓએ આવી સરકારી આયુર્વેદિક સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

