નસવાડી તાલુકાના વાઘીયા ગામે પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે સાત વર્ષ પહેલા સંપ બનાવ્યો તેમાં એક પણ ટીપું પાણી ના પહોંચ્યું ત્યારે હવે પાણીપુરવઠા વિભાગ દ્વારા આ સંપ થી 25 મીટર દૂર નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે. સરકાર ના નાણાં આ રીતના અધિકારીઓ વેડફી રહ્યા છે. પાણીપુરવઠા વિભાગ માં અંધેર વહીવટ ચાલી રહ્યો છે. તેનો આ વરવો નમૂનો છે.
નસવાડી તાલુકાના પોચમ્બા પાણી પુરવઠા યોજનામાં 119 ગામોને પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં ફિલ્ટર વાળું પાણી ગામેગામ પહોંચે તે માટે સરકારે સાત વર્ષ પહેલા 50 કરોડ થી વધુ ના ખર્ચે પાઈપલાઈન સંપ અને ટાંકીઓ બનાવી હતી. જેમાં અમુક ગામો માં પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી પહોંચ્યું નથી. જયારે નસવાડી તાલુકાના વાઘીયા ગામે સાત વર્ષ માં એક પણ ટીપું પાણી સંપ માં ના પહોંચતા આજે આ ગામ માં બનાવવા માં આવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન છે. જેમાં મોટર વીજમીટર લગાવવામાં આવેલ છે. પરંતુ પાણી જ ના પહોંચતા સાત વર્ષ થી લાઈટ બિલ પણ એમને એમ જ સરકાર ભરે છે. જયારે અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી. અને પાણીપુરવઠા વિભાગ દરવર્ષે 119 ગામોને ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે બે કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટર ને ચૂકવે છે. ત્યારે હાલ તો આ સંપ માં પાણી પહોંચ્યું નથી અને સરકારે 44 કરોડ ની 24 ગામોને પીવાના પાણી મળે તે માટે બીજી ગ્રાન્ટ ફાળવતા તેમાં થી નવો સંપ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર માં આવી રીતના પાણીપુરવઠા વિભાગ કામગીરી કરી રહી છે. જયારે એક સંપ માં પાણી પહોંચ્યું જ નથી. ત્યારે બીજો સંપ બનાવી ને સરકાર ના નાણાં નો વેડફાટ કરી રહી છે. હાલ તો ગ્રામજનો નો આક્ષેપ છે, કે અમારા ગામ માં ઉનાળા ના સમયે વોટરવર્કસ ના બોર સુકાઈ જાય ત્યારે પશુઓને પાણી પીવડાવવાની મુશ્કેલી પડે છે. અમારા ગામમાં પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી પહોંચે છે. તેવું કાગળ ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારે અધિકારીઓએ ગામ ની મુલાકાત લઈને સાચી તપાસ કરવી જોઈએ અને બીજો સંપ બનાવવામાં આવે છે. તે ખાડા માં બનાવવામાં આવે છે. આવી કામગીરી કરતા અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ ઓફિસ માં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓ વાઘીયા મહુડા ગામ ની મુલાકાત લે તે જરૂરી બન્યું છે.

