મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર- 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી.
નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભપર નજર રાખી રહ્યા છે.સંગમ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે, શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

