રાજપીપલા, સોમવાર:- એકતનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તા. ૧ લી નવેમ્બરથી શરૂ થયેલ ભારત પર્વ ૨૦૨૫ના ત્રીજા દિવસે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ અને વાહનવ્યવહારના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી સહભાગી થયા હતાં.
આ વેળાએ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરતા ભારત પર્વ તા. ૧૫ મી નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલનાર કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકો ઉત્સવની જેમ મનાવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દુનિયાભરના લોકો આવીને મુલાકાત કરી એકતાનો અનુભવ કરે છે.
જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ જોવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. ત્યારે સરકારશ્રીના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં અલગ-અલગ રાજ્યોના સ્ટોલ અને ફૂડ સ્ટોલ મૂકાયા છે. જેની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવા અંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને વિનંતી કરી કે, પોતાના વતન જઈને દરેક વ્યક્તિ પાંચ વૃક્ષો વાવે અને તેને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ‘નરેન્દ્રભાઈ’ને ટેગ કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ એકતાનગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અંગેની માહિતી મેળવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અંગેની શોર્ટ ફિલ્મને નિહાળી હતી. તેમણે, સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. આ વેળાએ મંત્રીશ્રીએ સ્ટેચ્યુની મુલાકાતે આવેલ પ્રવાસીમિત્રો જોડે વાર્તાલાપ કર્યો અને તસવીરો પણ ખેંચી હતી. એકતાનગરની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી સ્મૃતિચિન્હરૂપે તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાતની તસ્વીર અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મંત્રીશ્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યના પેવેલિયનો બાનવવામાં આવ્યા છે, તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓની પણ મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. સાથે-સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે હસ્તકલા સ્ટોલ, જે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળાની વિઝિટ કરી હતી.
ત્યારબાદ મંત્રીશ્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યુ પોઇન્ટ 1, વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ ખાતે પંજાબ, ગુજરાત સહિતના રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જે તેમના અનોખા પરંપરા અને કલા પર્ફોર્મને નિહાળી હતી. ત્યારબાદ પ્રકાશ પર્વમાં રંગબેરંગી ઝળહળતી લાઇટોને નિહાળ્યું હતું.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, વિભાગીય નિયામક એસ.ટી.ભરૂચ શ્રી આર.પી.મળી, નાયબ વન સંરક્ષકશ્રી અજ્ઞિશ્વર વ્યાસ, શ્રી અભયસિંહ, શ્રી ગૌરવ પ્રજાપતિ, જિલ્લાના અગ્રણી શ્રી નીલ રાવ, નાયબ પ્રોટોકોલ કલેકટર શ્રી એન. એફ.વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

