છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કવાંટ બાયપાસ રોડ પર આવેલા આ પુલ પર વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સાથે ભંગિયાભાઈ રાઠવા, નેવસિંગભાઈ રાઠવા સહિતના કાર્યકર્તાઓએ પુલ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પુલની દયનીય હાલતને રેખાંકિત કરવા પ્રતીકાત્મક ‘બારમું-તેરમું’ પણ કર્યું હતું।
કવાંટ બાયપાસ રોડનો આ પુલ 50 વર્ષથી વધુ જૂનો છે અને ભારે જર્જરિત હાલતમાં છે. પુલના સપાટ પર મોટા ગાબડાં સર્જાયા હોવાને કારણે વાહનચાલકોને અકસ્માતોનો ભોગ બનવાનો ખતરો વધ્યો છે.
તાજેતરમાં જેતપુર પાવી નજીકનો એક પુલ ધોવાઈ જતાં ટ્રાફિક બંધ કરવો પડ્યો હતો. પરિણામે, મોટા ભારદારી વાહનો માટે કવાંટનો આ જૂનો પુલ જ વિકલ્પ રહ્યો છે, જે તેની જોખમી સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. કાર્યકર્તાઓએ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તેવા આશંકા વ્યક્ત કરી હતી.
વિરોધના અનુસંધાનમાં કવાંટ પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે રાધિકાબેન રાઠવાને છોટાઉદેપુર સ્ટેટ આરએનબી (માર્ગ અને મકાન વિભાગ)ના અધિકારી સાથે ટેલિફોન પર વાતચીત કરાવી હતી. રાધિકાબેન રાઠવાએ અધિકારીને સ્થળ પર આવીને તાત્કાલિક સમારકામ શરૂ કરવાની માંગ કરી હતી, નહીં તો આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી।
પોલીસની સમજાવટ અને અધિકારી સાથેની ચર્ચા બાદ કાર્યકર્તાઓને રસ્તાની સાઈડ પર ખસેડતા વાહનવ્યવહાર ફરી સુચારુ રીતે શરૂ થઈ શક્યો હતો।

