વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી. બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ શહેરના વિકાસલક્ષી કુલ 22 કામોને મંજૂરી આપવામાં આવી છે. દર અઠવાડિયે યોજાતી આ બેઠકમાં કમિશનર દ્વારા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
આ દરખાસ્તોમાં રોડ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ટાઉન ડેવલોપમેન્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, વરસાદી ગટર ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા તેમજ હેરિટેજ સેલ જેવા મહત્વપૂર્ણ વિભાગોના કામોનો સમાવેશ થયો હતો. સ્થાયી સમિતિએ તમામ 22 કામોને સર્વસંમતિથી મંજૂરી આપી છે.
આ બેઠકની મહત્વપૂર્ણ નિર્ણય તરીકે વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાના રીસ્ટોરેશન અને રિનોવેશન માટે રૂ. 4 કરોડ 96 લાખના ખર્ચે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરની હેરિટેજ ધરોહરને નવી ઓળખ મળશે અને પ્રવાસન દ્રષ્ટિએ પણ માંડવી દરવાજાનું મહત્વ વધશે.
મહાનગરપાલિકાના આ નિર્ણયથી શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સાથે વિકાસલક્ષી કામગીરીને પણ ગતિ મળશે.

