વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશો છેલ્લા ૨૦ વર્ષથી ચાલુ રહેલી રસ્તાની ગંભીર સમસ્યાને લઈને તંત્ર સામે હલ્લાબોલ કરવા મજબૂર થયા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન રહેવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું કે ભલે વિસ્તારનું મ્યુનિસિપલ લિમિટમાં વિલીનીકરણ થઈ ગયું હોવા છતાં સુવિધાઓ આજે પણ ગ્રામ્ય સ્તર જેવી જ છે.
રહીશોનો આક્ષેપ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલાત તો નિયમિત શરૂ થઈ ગઈ છે, પરંતુ તેના બદલામાં માર્ગ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા બે દાયકાથી મરામત ન થતા હવે તેની હાલત દયનીય બની ગઈ છે, જેના કારણે વૃદ્ધો, બાળકો અને દૈનિક વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રહેવાસીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે પણ અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ જોવા મળે છે; બાદમાં સોસાયટીમાં ડોકિયું પણ કરતા નથી.” રહીશોએ જણાવ્યું કે જો તેઓ નિયમિત ટેક્સ ચૂકવે છે તો વિકાસક્રમમાં પાયાની સુવિધાઓ મળવી જોઈએ.
સોસાયટીના રહીશો દ્વારા તંત્રને તાત્કાલિક રસ્તાની રિપેરિંગ અને નવીનીકરણ કાર્ય હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. નાગરિકોની માંગ છે કે માર્ગની હાલની જર્જરિત સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત લાવવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.

