ધોરાજીના ભરચક ગણાતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. બે અજાણ્યા શખ્સોએ રિક્ષામાં તોડફોડ કરી બાદમાં રિક્ષાચાલક પર લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કર્યો હતો.હુમલામાં રિક્ષાચાલક અનવર અજીજ મોતીવાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.આ ઘટનાને પગલે ત્રણ દરવાજા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

