જાંબુવા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે 400 કિલો વજનના કેબલની ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોરી થયેલા કેબલો બાદમાં સ્ક્રેપ વેપારીને વેચી દેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ મામલે પોલીસએ આજવા રોડ વિસ્તારમાં રહેતા અને તે ગોડાઉનમાં મજૂરી કામ કરતા બે ઈસમોને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સાહિલ ઉર્ફે ભાઈજાન દિલાવર ખાન પઠાણ અને ઇમ્તિયાઝ ઉર્ફે પીકે અનવર સૈયદ તરીકે થઈ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ચોરી કર્યા બાદ કેબલો સ્ક્રેપમાં વેચી નાખ્યા હતા, જ્યાંથી તેને ઓગાળી એલ્યુમિનિયમની પાટોમાં ફેરવી દેવામાં આવી હતી.
પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ ચોરીમાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

