વડોદરા : રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) કે.એલ.એન. રાવ આજે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ પરંપરા મુજબ તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન DGP રાવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ તેમજ ભવિષ્યના સુરક્ષા આયોજન અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે, જેમાં શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા માટે અત્યાર સુધી લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વડોદરાની હાલની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન તેમજ અન્ય આંતરિક સુરક્ષા સંબંધિત પડકારો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજીનો વધુ અસરકારક ઉપયોગ, શહેરભરમાં સીસીટીવી નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી અને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમ પર વિશેષ ભાર મુકવામાં આવશે.
યુવાધનને નશાના રવાડે ચઢતા અટકાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનના ભાગરૂપે DGP રાવ વડોદરામાં નાર્કોટિક્સ જાગૃતિ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દ્વારા ડ્રગ્સના દૂષણને મૂળમાંથી દૂર કરવા તેમજ નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે.

