Nasvadi પંથકમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નસવાડીના ચુનાખાન અને સોરઠ વિસ્તારમાંથી પસાર થતી અશ્વિન નદીમાં મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, નદીના પાણીમાં મગર દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભય ફેલાયો છે. નદીકાંઠે જતા લોકો અને પશુપાલકો ખાસ ચિંતિત બન્યા છે, કારણ કે રોજિંદા કામકાજ માટે અનેક લોકો નદીકાંઠે અવરજવર કરતા હોય છે.
સ્થાનિકોના કહેવા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી નદીના અલગ-અલગ વિસ્તારોમાં મગર જોવા મળ્યાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે બાળકો અને મહિલાઓને નદી નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
ગ્રામજનો દ્વારા વન વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે મગરને સુરક્ષિત રીતે પકડવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે નદીકાંઠા વિસ્તારમાં ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે અને પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલાં જ યોગ્ય પગલાં લેવામાં આવી શકે.

