સાંઢેલી ગામે રામનવમીના પાવન પર્વે કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. ઠાસરા તાલુકાના આ ગામમાં પ્રભુ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
ગામના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રામાં જોડાઈ ભગવાન શ્રીરામની મૂર્તિને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે સમગ્ર પંથકમાં ભાઈચારાની સુગંધ ફેલાવતો પ્રસંગ બની રહ્યો.
શોભાયાત્રા દરમિયાન “જય શ્રી રામ”ના જયઘોષ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સાંઢેલી ગામમાં વર્ષોથી તમામ તહેવારો સૌહાર્દપૂર્વક મળીને ઉજવવાની પરંપરા રહી છે, અને આ વર્ષે રામનવમીના પર્વે આ પરંપરા વધુ મજબૂત બની છે.
આ પ્રસંગે સાંઢેલી ગામે આપેલું એકતાનું સંદેશ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.

