મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા પ્રવેશ માટે એન્ટ્રન્સ પરીક્ષા લેવાના નિર્ણય સામે NSUIએ કડક વિરોધ નોંધાવ્યો છે અને 24 કલાકમાં નિર્ણય પર પુનર્વિચાર કરવાની ચેતવણી આપી છે.
NSUIના ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમેનએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરી ગુજરાત સરકારની બોર્ડ પરીક્ષા પાસ કરે છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા અલગથી એન્ટ્રન્સ પરીક્ષા લેવી વિદ્યાર્થી હિતના વિરોધમાં છે.
NSUIએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ બોર્ડ પરીક્ષાના પરિણામોને માન્યતા આપતા નથી કે પછી આ નિર્ણય પાછળ ખાનગી કોલેજોને લાભ પહોંચાડવાનો કોઈ હેતુ છે.
આ મુદ્દે રજૂઆત કરવા ગયેલા NSUIના પ્રતિનિધિ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ખોટી પોલીસ ફરિયાદ દ્વારા અવાજ દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
NSUIએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં એન્ટ્રન્સ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

