મેરાકુવા મંડળી કૌભાંડ મામલે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક અને બરોડા ડેરી વચ્ચેના એમઓયુ શંકા ઉપજાવે હોવાનું જણાવ્યું હતું.
મેરાકુવા દૂધ મંડળીમાં મૃતક સભાસદના નામે થયેલા કૌભાંડના આક્ષેપ વચ્ચે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોલીસ વિભાગ દ્વારા થયેલ તપાસનો સમગ્ર અહેવાલ જાહેર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ કોઈ ભૂલ નથી પરંતુ એક કૌભાંડ કહી શકાય. વેરાકૂવામાં જે ઘટના બની તે મામલે કુલ ત્રણ તબક્કે તપાસ થઈ રહી છે. એક તપાસ પોલીસ વિભાગ, બીજી જિલ્લા રજીસ્ટર અને ત્રીજી ડેરી પોતે એની તપાસ કરી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, મને ડેરીની તપાસ પર વિશ્વાસ નથી પરંતુ પોલીસે જે તપાસ અહેવાલ તૈયાર કર્યો છે અને જે કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો છે તેના પરથી આ બાબત ખૂબ બાબત હોવાનું જણાઈ રહ્યું છે અને તેમાં પ્રમુખ અને મંત્રી પર સીધી કાર્યવાહી થઈ શકે તેમ છે. સમગ્ર ઘટનામાં જિલ્લા રજીસ્ટાર એફઆઇઆર કરી શકે છે. હાલ પ્રાથમિક તબક્કે લાખો રૂપિયાના ગેરવ્યાજબી વ્યવહાર બહાર આવ્યા છે પરંતુ જો ઝીણવટ ભરી તપાસ થાય તો હજુ આ રકમ વધી શકે તેમ છે. સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક અને બરોડા ડેરી વચ્ચે જે કરાર થયા છે તે અધિકાર પત્રો દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે આવો અધિકાર પત્ર વ્યાજબી ગણાતો નથી. જે ખાતા હોય તેને બે વર્ષમાં કેવાયસી કરવાના હોય છે. મંડળીના બધા ખાતા હાય રિસ્ક જ કહેવાય પરંતુ મંડળીના ખાતા બે વર્ષના બદલે દસ વર્ષે કેવાયસી થાય છે, તે શંકા ઉપજાવે તેમ છે. જેથી આ ઘટના સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક અને બરોડા ડેરી વચ્ચે ચાલતું ખૂબ મોટું કૌભાંડ હોવાની બાબત નકારી શકાય તેમ નથી. આ મામલે બરોડા ડેરી દ્વારા થતી તપાસમાં વિશ્વાસ ન હોવાનું જણાવતા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમ છતાં બરોડા ડેરીના એમડી અને ચેરમેન બેજવાબદારીભર્યા નિવેદન કરી રહ્યા છે. કેતન ઇનામદારે એમ પણ જણાવ્યું કે, હું મંડળીના સભ્યો વતી રજૂઆત કરી રહ્યો છું અને સરકારમાં જ્યારે પણ રજૂઆત કરી છે ત્યારે મારી જીત થઈ છે. સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક મામલે હું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરી તપાસ માંગીશ. ડેરી અંગે મે 14 મુદ્દાની રજૂઆત કરી હતી ત્યારે પણ ડેરીના સભાસદો અને મંડળીના સભ્યોના હિતમાં જ નિર્ણય આવ્યો હતો એવો દાવો તેમણે કર્યો હતો.

