શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સદગત પિતૃઓનું પ્રત્યેનું ઋણ અદા કરવા પિતૃ તર્પણ અને પિતૃ શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ મોક્ષ નો મહિમા ધરાવતા ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે પધારી રહ્યા છે
શ્રાદ્ધ પક્ષ જેને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાદરવા વદ એકમ તા. 8 સપ્ટેમ્બર થી તા. 21 સપ્ટેમ્બર અમાસ સુધીના દિવસો પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃ ઋણ અદા કરવાના પર્વ તરીકે મનાવવામાં આવશે આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમાદર વ્યક્ત કરવા
માતૃ અને પિતૃ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારની સ્મૃતિને ચિરંજીવ રાખવા આ દિવસોમાં શ્રાદ્ધ કર્મ માટે નદી કિનારો, સંગમ અને તીર્થ સ્થળનું વિશેષ મહાત્મ્ય દર્શાવ્યું હોય વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પુરાણોક્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ માં ગુજરાત સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજેરોજ પોત પોતાના તીર્થગોર પાસે પિતૃ કાર્ય કરાવવા ઉમટી રહ્યા છે શ્રાદ્ધ ના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે જેથી પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાઇ છે પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કુતરા ને ખવડાવી, કાગવાસ આપી પીપળે પાણી ચઢાવીને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક-ખીર બનાવડાવી તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મ ભોજન અને દક્ષિણા અર્પણ કરી રહ્યા છે આમ દિવંગત પિતૃઓની સ્મૃતિમાં પૂર્ણ ભક્તિ ભાવથી શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ થકી પોતાના વંશજોની ભક્તિથી પિતૃઓ તૃપ્ત,સંતુષ્ટ થઈ વંશજોને યશ,બળ,બુદ્ધિ ધનધાન્ય, વૈભવ,પુત્રસુખ સહિતના આશીર્વાદ આપે છે

