વડોદરા શહેરના સુરસાગર પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનો સમાપન : રુકમણી વિવાહ અને પાલખી યાત્રામાં ભક્તોનો ઉમળકો
વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવની કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સવોની શ્રેણી જળવાઈ રહી. ગત 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી વિશાળ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈ ધર્મલાભ લીધો હતો.
સપ્તાહના અંતિમ દિવસે રુકમણી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુમેદાન ફળિયાથી લઈને પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાળખીમાં શ્રી રુકમણી-કૃષ્ણના પાત્રો સાથે ભજન-કીર્તનનો રંગ છવાઈ ગયો હતો.
મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિક રહેવાસીઓ તેમજ વિવિધ મંડળોએ જોડાઈ યાત્રાને ભવ્યતા આપી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન, આરતી અને દર્શનનો લાભ લીધો હતો.

