સાવલી નજીકના ગોઠડા ગામ ખાતે પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો અને વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી ભરેલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇસ્લામ ધર્મમાં રમઝાન માસ દરમિયાન ઈબાદત, રોજા, નમાઝ, બંદગી અને લોકસેવાના કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ જ ભાવનાને અનુરૂપ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગોઠડા સૈયદવાડા વિસ્તારમાં આસપાસ રહેતા જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લગભગ 60 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘઉં, લોટ, ચોખા, તુવેર દાળ, ચા, મોરસ, તેલ, બેસન, મરચું, હળદર, ગરમ મસાલા, કસ્ટર પાવડર અને ખજૂર જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના પ્રમુખ સૈયદ અબ્બાસ અલી માસ્તરએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન ગરીબોને મફત સારવાર, ચેકઅપ કેમ્પ, રાહત દરે ચોપડા વિતરણ, રમઝાન માસમાં અનાજ કીટ વિતરણ, વૃક્ષારોપણ, ઈસ્લાહી ઇજ્તેમા, મસ્જિદ અને કબ્રસ્તાનની સફાઈ, શિયાળામાં ગરીબોને ગરમ ધાબળા વિતરણ તથા સરકારી યોજનાઓ અંગે કેમ્પ જેવા વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે.
આ સેવા પ્રવૃત્તિમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને સભ્યો દિલથી જોડાઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા સતત કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું.

