પાવીજેતપુર તાલુકામાં શિહોદ પાસે જનતા દ્વારા ફરીથી ત્રીજી વાર જનતા ડાયવર્ઝન બનાવી દઇ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરી દેવામાં આવતાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશદ્વાર સમાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 ઉપર આવેલ બ્રિજ 2023માં ધોવાઈ જતાં, અઢી વર્ષ જેટલા સમયથી લોકો બે વૈકલ્પિક ખખડધજ રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા હતા. તેમજ નર્કાગાર જેવી પરિસ્થિતિ ભોગવી રહ્યા હતા. ત્યારે 15 ઓગસ્ટે જનતા દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જે સુખી ડેમમાંથી પાણી છોડાતાં નદીમાં ધસમસતો પ્રવાહ આવતાં તે જ દિવસે મોડી રાત્રે ધોવાઇ ગયું હતું. ફરીથી 19 ઓગસ્ટે લોકોએ જનતા ડાયવર્ઝન ફરી બનાવ્યું હતું.
જોકે તે પણ બે ત્રણ દિવસ બાદ નદીના પટમાં સુખી ડેમનું પાણી છોડાતાં ધોવાઈ ગયું હતું. આમ સતત બે વખત એક જ અઠવાડિયામાં જનતા ડાયવર્ઝન ધોવાઇ ગયું હોવા છતાં લોકોએ હિંમત હારી ન હતી. હાલ નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વેન્ટિલેટર ઉપર ચાલતા પાવીજેતપુર બજારને ધબકતું કરવા તેમજ સમગ્ર જિલ્લાની જનતાને સુખાકારી અને રાહત મળે તે આશયથી ત્રીજી વાર જનતા ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે. જેના ઉપર વાહન વ્યવહાર ચાલુ થતાં લોકોમાં આનંદ સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે.

