છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માર ઝેલી રહ્યો છે. મંદીના કારણે ડોલોમાઇટ માઈન્સ એસોશિએશન દ્વારા એક મહિના સુધી ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ખાણ માંથી નીકળતા પથ્થરો છોટાઉદેપુરની આસપાસ આવેલી ૧૦૦ જેટલી ફેક્ટરીઓ ઉપર જાય છે. અને ફેક્ટરીઓમાં આ પથ્થરનો પાઉડર બનાવી સિરામિક , પેઈન્ટ્સ, રંગોળી સહિત અનેક ઉત્પાદનોમાં દેશના ખૂણે ખૂણે સુધી આ પાઉડર મોકલાય છે. પરંતુ ખાણો બંધ થતા સમગ્ર ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે. ખાણ ધારકોનું કહેવું છે, કે મંદીના કારણે પથ્થરની માંગ નથી અને જે પથ્થર વેચાય છે. એના પણ નાણા સમયસર આવતા નથી, જેને લઈ ખાણ ચલાવવા રોજિંદુ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે. ડોલોમાઈટ ખાણો બંધ થતા ખાણમાં કામ કરતા શ્રમિકો , ટ્રાન્સપોર્ટરો અને શ્રમિકો મળી ૫૦૦૦ જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. તો ફેક્ટરીઓમાં માલ ખાલી થયા બાદ ફેક્ટરી માલિકો અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ અને શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે. તો બીજી તરફ ફેક્ટરીના માલિકો ખાણ ધારકોના નિર્ણયથી અસંતુષ્ટ છે, તેમના મુજબ મંદી દર વર્ષે દિવાળી બાદ બે મહિના આવે છે. પરંતુ આ રીતે ખાણ બંધ કરવી યોગ્ય નથી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

