વડોદરા: માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષની અંજનાબેન વાઘેલાના મોતને લઈને તબીબોની બેદરકારીનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ તબીબી વર્તુળોમાં હલચલ મચી છે.
પરિજનોના જણાવ્યા મુજબ, 11 ઑક્ટોબર, 2025ના રોજ પેટમાં દુખાવો થતાં અંજનાબેનને સોમા તળાવ પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. પાંચ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી, પરંતુ ત્યાર પછી પણ તેને તીવ્ર દુખાવો થતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અહીં કરવામાં આવેલા સિટી સ્કેન અને અન્ય રિપોર્ટોમાં અંજનાબેનના પેટમાં ‘મોબ જેવી કોઈ વસ્તુ’ હોવાની જાણ થતાં પરિજનો સ્તબ્ધ બની ગયા. બાદમાં મકરપુરા હોસ્પિટલમાં મહિના સુધી સારવાર આપવામાં આવી, પરંતુ ઇન્ફેક્શન ગંભીર બની જતા દીકરીને બચાવી શકાયી નહીં.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિજનોનું કહેવુ છે કે—
“સર્જરી દરમિયાન થયેલી તબીબી ભૂલના કારણે દીકરીએ જીવ ગુમાવ્યો છે. જવાબદાર તબીબ વિરુદ્ધ સખ્ત પગલા લેવાં જોઈએ.”
પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અધિકારીઓ દ્વારા પ્રારંભિક માહિતી પ્રમાણે, આક્ષેપોની તપાસ આગળ વધવાની શક્યતા છે.

