શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે : અર્ચના દીદી
શહેર નજીકના ગોકુલપુરા ગામ ખાતે આવેલા મા અંબા ધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં ૭ દિવસીય દૈવી માહાત્મય કથાનું આયોજન કરાયું હતું. જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામની ૨૫૦૦ થી વધારે બહેનોએ ભાગ લીધો હતો. દૈવી માહાત્મય કથા દરમિયાન આનંદનો ગરબાનું પણ આયોજન કરાયું હતું.
ભાવિક ભક્તોને મા અંબાની ભક્તિમાં લીન કરતા અર્ચના દીદીએ જણાવ્યું હતું કે, શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે તે સત્ય છે ત્યારે આ સંસાર આધ્યશક્તિની ભક્તિ વગર ચાલવો શક્ય નથી માત્ર મંદિરમાં જ ભક્તિ થાય તેવું નથી ભક્તિ આપડે જ્યાં હોઈએ ત્યાં કરી શકીએ છીએ. આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપવું જોઈએ. આ સાથે માતાની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ.
આ સાથે અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ અને મા અંબા ધામના પ્રમુખ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૦ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મા અંબા ધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેથી મંદિરના પહેલા પાટોત્સવ નિમિત્તે દૈવી માહાત્મય કથાનું આયોજન કરાયું હતું. જેના અંતિમ દિવસે એટલે કે ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સંત સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્રનંદગીરીજી મહારાજ સહિત ૧૨૫ થી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ માતાની આરાધના કરીને મહાપ્રસાદી પણ સ્વિકારી હતી.

