તાજેતરમા થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો અને પુલોનુ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશમા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
આ કામગીરીની જાતમાહિતી મેળવતા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજય અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી ભીખુસિંહ પરમારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી માર્ગ અને પુલ મરામત કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરો સહિત નેશનલ હાઇ વે ઓથોરિટી પાસેથી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની સૂક્ષ્મ વિગતો મેળવી આવા તમામ માર્ગો સત્વરે પુનઃ કાર્યરત કરવા જણાવ્યુ હતુ.
આ સાથે શાળાઓના જર્જરીત ઓરડાઓ બનાવવા માટેની પ્રક્રિયા ઝડપી કરવા તથા વિદ્યાર્થીઓને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે પણ તેમણે સૂચન કર્યુ હતુ. જર્જરીત આંગણવાડીઓના નવિનિકરણ તથા ભૂલકાઓને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી હતી.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ. તેમણે ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામત અને ડાઇવર્ઝન જેવી બાબતોથી મંત્રીને વાકેફ કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમા નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

