વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હુસેન સરપંચથી જીઆઇડીસી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ મારુતિ ધામ સાઈબાબા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ સામે આવ્યો છે.
માહિતી અનુસાર વહેલી સવારે પૂજારી મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમને દાનપેટી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના અન્ય કાર્યકરોને જાણ કરી પોલીસને માહિતી આપવામાં આવી હતી. જણાવ્યા મુજબ મંદિરની દાનપેટી દર છ મહિને એકવાર ખોલવામાં આવે છે અને તેમાં અંદાજે એક લાખ રૂપિયા જેટલી રકમ જમા થતી હોય છે.
આ ઉપરાંત તે જ દિવસે વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બંને બનાવોને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ચોરીના વધતા બનાવોને લઈને સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
ઘટનાને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ક્યારે સુધી ઝડપી પાડે છે.

