વિદ્યાર્થીઓને સંશોધન દિશામાં માર્ગદર્શન આપવા પર વિશેષ ભાર
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા શાસ્ત્રીય નૃત્યના વૈજ્ઞાનિક અને બૌદ્ધિક પાસાઓને ઉજાગર કરવાના હેતુસર એક વિશેષ લેક્ચર-ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નૃત્ય વિભાગના અધ્યક્ષ ડૉ. સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા
“૩ એમ ઇન ભરતનાટ્યમ: મૂવમેન્ટ, માઇન્ડ એન્ડ મીનિંગ – ડિકોડિંગ ધ સાયન્સ, સ્ટ્રક્ચર એન્ડ ઇન્ટેલિજન્સ ઓફ અ ક્લાસિકલ આર્ટ ફોર્મ”
વિષય પર આ કાર્યક્રમ યોજાયો હતો.
આ વ્યાખ્યાન-પ્રદર્શન પ્રખ્યાત લેખક અને સંશોધક શ્રી રામકૃષ્ણમણિ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં ભરતનાટ્યમના ગતિ, માનસિક પ્રક્રિયા અને અર્થસભર અભિવ્યક્તિના વૈજ્ઞાનિક તથા તાત્વિક પાસાઓને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રાયોગિક પક્ષ રૂપે ગિરિજા નાયરના નૃત્યકારો દ્વારા નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી વિશેષ પ્રશંસા મળી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવાનો તેમજ તેમના જ્ઞાનમાં વધારો કરવાનો હતો. નૃત્ય વિભાગ દ્વારા દર વર્ષે આવા વિવિધ વિષયોના વિદ્વાનોને આમંત્રિત કરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સંશોધનાત્મક લાભ આપવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન વિભાગના વિદ્યાર્થીઓએ ડેમોન્સ્ટ્રેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાસ્ત્રીય નૃત્યના ઊંડા તત્વોને સમજવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસાર તેમજ નૃત્ય વિભાગના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયો હતો.

