વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડનું આજે સામૂહિક પ્રસારણ યોજાયું હતું. આ એપિસોડમાં વડાપ્રધાને વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશની સિદ્ધિઓ, સંઘર્ષો અને જનભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રેરણાદાયક વિચાર વ્યક્ત કર્યા હતા.
વડોદરા ખાતે સાંસદ ડૉ. હેમાંગ જોશી ગોત્રી વિસ્તારના મ્યુનિસીપલ કાઉન્સિલર ભાવેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ આજના મન કી બાતમાં ફિટ ઇન્ડિયા અભિયાન, તમિલ સંગમ, તેમજ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવા કે ટેસ્ટ ન કરાવવાની સલાહ આપી હતી. સાથે સાથે તેમણે માતૃભાષાની મહત્તા પર વિશેષ ભાર મૂક્યો હતો અને લોકોને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અનુભવા અપીલ કરી હતી.
કાર્યક્રમ બાદ સાંસદ ડૉ. હેમાંગ જોશીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મન કી બાત માત્ર રેડિયો કાર્યક્રમ નથી પરંતુ દેશના સામાન્ય નાગરિકોને પ્રેરણા આપતું એક સશક્ત માધ્યમ છે. તેમણે આજની કડીની વિશેષતાઓ વર્ણવી અને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા સંદેશાઓને લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.

