નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આયોજિત સયાજી કાર્નિવલ એટલે કે ૫૩મા બાળમેળાને લઈને આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ ત્રણ દિવસીય બાળમેળાનું આયોજન આગામી તારીખ ૨૪, ૨૫ અને ૨૬ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૧૯૫૩માં સૌપ્રથમ વખત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળાની સૌથી વિશેષ વાત એ છે કે તેનું સંપૂર્ણ સંચાલન લોકશાહી ઢબે બાળકો દ્વારા, બાળકો માટે કરવામાં આવે છે, જે સમગ્ર ભારતભરમાં અનોખું ગણાય છે.
આ બાળમેળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૧ પ્રાથમિક શાળાઓ, ૧૦ માધ્યમિક શાળાઓ તેમજ ૧૦૦થી વધુ આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. બાળકો દ્વારા નાટકો, નૃત્ય, શૈક્ષણિક પ્રોજેક્ટ, ટેલેન્ટ શો તેમજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પણ લગાવવામાં આવશે.
ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રદર્શન સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શકો માટે વિશેષ આકર્ષણ રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વડોદરાના તમામ નાગરિકોને પરિવાર સાથે આ બાળમેળાની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

