કર્મીઓએ મ્યુ. કમિશનરનો ઘેરાવો કરતાં તેઓ કારમાં અડધો કલાક બેસી રહ્યા હતા. ત્યારબાદ 3 કિમી ચાલ્યા પછી પોલીસ આવી હતી અને તેઓ કારમાં બેસી રવાના થયા હતા.
કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કાયમી કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. સોમવારે મોટી સંખ્યામાં કર્મીઓએ કમિશનર કચેરી મોરચો માંડ્યો હતો. તેઓ ઓફિસમાં ધસી ન જાય તે માટે ગાર્ડે ગેટ બંધ કરી દીધો હતો. મ્યુ. કમિશનર ઘરે જવા નીકળ્યા ત્યારે મોરચાએ ઘેરાવો કર્યો હતો. જેથી મ્યુ. કમિશનર ચાલતા નીકળી ગયા હતા. મ્યુ. કમિશનરને કારમાં બેસતાં 3 વખત અટકાવાયા હતા. આખરે પોલીસે દરમિયાનગીરી કરતાં તેઓ કારમાં બેસીને રવાના થયા હતા.કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, તેઓ કાયદો હાથમાં લઇ રહ્યા છે. લોકોને ટ્રાફિકમાં અડચણ થાય છે. તેઓ જે માગ કરે છે તે વ્યજબી નથી. આઉટસોર્સિંગના કર્મચારીઓને કાયમી કરવાની જોગવાઇ જ નથી. બીજી તરફ 100 કર્મીની અટક કરાઈ હતી. જેમને પોલીસે મુક્ત કરતાં ફરી ધરણાં પર બેસી ગયા હતા.હંગામી કર્મચારીઓની હડતાળ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની ગાડી સામે બેસીને તેઓનો વિરોધ કરતાં મ્યુનિસિપલ કમિશનરને ચાલતા જવાની ફરજ પડી હતી. જેમાં ડો.આંબેડકરના મુખવટાની આડમાં વ્હીકલ પુલના કેટલાક લઘુમતી કોમના ડ્રાઇવરો દ્વારા હંગામો મચાવાયો હોવાની આશંકા છે. જેની તપાસ શરૂ થઈ છે.

