વડોદરામાં સંગ્રહિત ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભક્તોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના પ્રાચીન વિમલેશ્વર મહાદેવ મંદિર નજીકથી યોજાયેલી વિદાય યાત્રામાં તેઓ સહભાગી બન્યા હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવેલા આ આઠમી સદીના પવિત્ર અવશેષો દિલ્હી માર્ગે શ્રીલંકા પહોંચશે અને શ્રીલંકન નૂતન વર્ષે કોલંબોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 2025ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સહકાર વધારવા માટે થયેલી સમજૂતીના અનુસંધાને આ અવશેષોને બુદ્ધધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં મોકલવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી બપોર બાદ એમ.એસ. યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત આર્કિયોલોજી એન્ડ એન્સીઅન્ટ સ્ટડીઝ વિભાગ પહોંચ્યા હતા, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ દ્વારા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં શોભાયાત્રા યોજી પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી રવાના કરવામાં આવ્યા.
અવશેષોમાં ભગવાન બુદ્ધના અસ્થિ (એશીસ), રેશમી વસ્ત્રોથી સજ્જ પાત્ર અને પથ્થરમાંથી બનેલા ઢાંકણાવાળા બોક્સનો સમાવેશ થાય છે. બોક્સ પર ચાંદી-સોનાના તાર સાથે બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં ‘દશબલ શરીર નિલય’ લખાણ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે શામળાજી નજીક દેવની મોરી વિસ્તારમાં થયેલા ઉત્ખનનમાં આ અવશેષો મળી આવ્યા હતા. 1957માં પ્રો. એસ.એન. ચૌધરી દ્વારા આ સ્થળ ઓળખવામાં આવ્યું હતું. 1960 બાદ થયેલા ઉત્ખનનમાં અહીં વિશાળ બુદ્ધ વિહાર હોવાનું ફલિત થયું હતું, જે હિનયાન સંપ્રદાયની સમ્મિતિયા પ્રશાખાનો હોવાનું માનવામાં આવે છે.
આ પવિત્ર અવશેષોને કોલંબોમાં તા. 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં જાહેર દર્શન માટે મુકવામાં આવશે.
આ પ્રસંગે મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, કુલપતિ ભણગે, પોલીસ કમિશનર નરસિંહ કોમર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

