ડેસર તાલુકાના લહેરીપુરા ગામમાં ખનીજ માફિયાની બેફામ દોડતી ડમ્પરોએ વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. ખનીજ ભરવા આવેલા રેતી ભરેલા ડમ્પરે 21 વર્ષીય યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને આક્રોશનો માહોલ ઉભો કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવકનું નામ જીગ્નેશભાઈ રાજુભાઈ ઓડ (ઉંમર 21 વર્ષ) છે. તેઓ મૂળ ખંભાતના રહેવાસી હતા અને હાલ મોકસી ગામમાં રહેતા હતા. લહેરીપુરા ગામ પાસે ડમ્પર બેફામ ગતિએ દોડતું આવ્યું અને યુવકને જોરદાર ટક્કર મારતા રેતી ભરેલી ટ્રક યુવક પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ડેસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ડમ્પર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ ખનીજ ભરતા ડમ્પરોની બેફામ દોડ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. લોકોનો સવાલ છે કે—
“રસ્તા પર દોડતા યમદૂતોને ક્યારે રોકશે તંત્ર?”
લોકોના કહેવા મુજબ ખનીજ લૂંટ માટે દિવસ-રાત દોડતા ડમ્પરો ગામના રસ્તાઓને મોતના માર્ગમાં ફેરવી રહ્યા છે, છતાં તંત્ર આંખ મીંચીને બેઠું હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે.
ડેસર પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

