વડોદરા: ઉતરાયણ પર્વને હવે માત્ર દસ દિવસ બાકી છે ત્યારે શહેરમાં પતંગ રસીયાઓએ અત્યારથી જ પતંગ ઉડાવવાનું શરૂ કરી દીધું છે. જોકે, પતંગ ઉડાવવાનો શોખ હવે કેટલાક લોકો માટે જીવલેણ સાબિત થતો જઈ રહ્યો છે. ઘાતકી અને ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે છેલ્લા 24 કલાકમાં દોરી ભરાવાના ત્રણ અકસ્માતના કેસ વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ રાજપીપળાના રહેવાસી સુરેશ રાણા અને હર્ષદ રાઠોડ વડોદરામાં કામ પૂર્ણ કરી રાજપીપળા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેલનપુર પાસે અચાનક ગળાના ભાગે દોરી આવી જતા બંને યુવકો અકસ્માતનો ભોગ બન્યા હતા. ગંભીર ઇજાઓ સાથે બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સિવાય, 53 વર્ષીય કમલભાઈ મનુભાઈ જીંગર જેટલપુર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગળામાં દોરી ભરાઈ જતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રીજો બનાવ સરદાર એસ્ટેટ વિસ્તારમાં બન્યો હતો, જ્યાંથી પસાર થતા સમયે અજય ભુલાભાઈ વાઘેલાના ગળામાં દોરી આવી જતા તેઓને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉતરાયણ પર્વ નજીક આવતા આવા બનાવોમાં વધારો થવાની સંભાવના છે. પતંગ ઉડાવવાનો શોખ કોઈનો જીવ જોખમમાં ન મૂકે તે માટે દરેક નાગરિકની જવાબદારી બને છે. ફક્ત અન્યોની પતંગ કાપવાની હોડમાં ઘાતકી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે તે અંગે વિચારવાની જરૂર છે.
તંત્ર અને પોલીસ દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકોએ ઘાતકી દોરી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો અને પતંગ ઉડાવતી વખતે તથા વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખવી, જેથી ઉતરાયણનો તહેવાર આનંદમાં ઉજવાઈ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

