વડોદરા શહેરને ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળ્યું છે. શહેરના 94 વર્ષીય જાણીતા ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકાર અને લોકસાહિત્યના સંવર્ધક ધાર્મિક પંડ્યાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન મળતા તેમના પરિવારજનો અને શુભેચ્છકોમાં ખુશી જોવા મળી હતી. પદ્મશ્રી એવોર્ડ અંગે ધાર્મિક પંડ્યાએ જણાવ્યું હતું કે આ સન્માન ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે છે. પ્રેમાનંદ અને નરસિંહ મહેતા જેવા મહાન કવિઓના યોગદાનને તેમણે સ્મરણ કર્યા હતા અને ગુજરાતી ભાષાની ગરિમા જાળવવાની અપીલ કરી હતી.
પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતા તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. “શરૂઆતમાં કામ અઘરું લાગે છે, પરંતુ મહેનત અને સમર્પણથી આગળ વધીએ તો સફળતા મળે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
પદ્મશ્રી એવોર્ડથી વડોદરા શહેરનું નામ ફરી એકવાર દેશભરમાં ઉજાગર થયું છે.

