ગુજરાત PM મોદી વડોદરા એરપોર્ટથી રોડ માર્ગે કેવડિયા પહોંચશે, ખરાબ વાતાવરણના કારણે નિર્ણય લેવાયો
PM મોદી વડોદરા એરપોર્ટથી રોડ માર્ગે કેવડિયા પહોંચશે, ખરાબ વાતાવરણના કારણે નિર્ણય લેવાયો
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. ખરાબ વાતાવરણના કારણે વડાપ્રધાન રોડ માર્ગે વડોદરા એરપોર્ટથી કેવડિયા જવા રવાના થયા છે. અંદાજીત 90 કિ.મીનું અંતર કાપી વડાપ્રધાનનો કાફલો કેવડિયા પહોંચશે. ખરાબ વાતાવરણના કારણે હેલિકોપટર ટેકઓફ ન કરી શકતા આખરે રોડ માર્ગે તેઓ કેવડિયા જવાના રવાના થયા છે.
વડોદરા એરપોર્ટ ખાતે પહોંચેલા વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડે. સી.એમ હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપી નેતાઓ એરપોર્ટ ખાતે પહોંચ્યાં હતા. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન હવાઇ માર્ગે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યાં હતા. જોકે છેલ્લા બે દિવસથી વડોદરાના વાતાવરણમાં પલટો થતા આજે વહેલી સવારથી વરસાદ અને વાદળછાયા વાતવરણના કારણે, હવે તેઓ કાફલા સાથે રોડ માર્ગે કેવડિયા પહોંચશે.
વડાપ્રધાન વડોદરા એરપોર્ટ આવવાના હોય ત્યારે વહેલી સવારથી એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એસ.પી.જી ગોઠવાઇ હતી. વડાપ્રધાનના આગમન ટાણે કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. વાતાવરણને ધ્યાને રાખે એરપોર્ટ ખાતે હેલિકોપટર પણ તૈયાર રાખવામાં આવ્યું હતુ.
પરંતુ ખરાબ વાતાવરણના કારણે વડાપ્રધાનની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાને રાખી આખરે તેમનો કાફલો રોડ માર્ગે કેવડિયા જવા માટે રવાના થયો હતો.

