ડભોઈ: શંકરપુરાથી વડજ ગામનો ૨ કિ.મી.નો રસ્તો ‘ભોંયરા’ જેવો બન્યો! જંગલી વનસ્પતિઓથી ખદબદતા માર્ગે દિવસે પણ બીક લાગે એવું લાગે છે વારંવારની રજૂઆતો છતાં તંત્ર માત્ર ‘થઈ જશે’ના આશ્વાસન આપે છે, ગામલોકોને લાંબો ફેરો ફરવાની મજબૂરી
ડભોઇ તાલુકાના શંકરપુરા અને વડજ ગામને જોડતો માત્ર ૨ કિલોમીટરનો રસ્તો હાલમાં જીવલેણ અને બિનઉપયોગી બની ગયો છે. આ મહત્વપૂર્ણ માર્ગ પર એટલા મોટા પ્રમાણમાં જાડી-ઝાંખરા અને ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે કે તે હવે રસ્તો નહીં પણ જાણે કોઈ ભયાનક ‘ભોંયરું’ કે ‘ખંડર’ હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.ભયાવહ પરિસ્થિતિ: રસ્તાની આસપાસની વનસ્પતિ એટલી ગીચ છે કે દિવસના પ્રકાશમાં પણ તેમાંથી પસાર થવું જોખમી બની ગયું છે. રાત્રિના સમયે તો આ માર્ગ સંપૂર્ણપણે બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે, જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ છે.
આ રસ્તો બંધ થવાથી આસપાસના ગ્રામજનોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બિનજરૂરી રીતે લાંબો અને થકવી નાખે તેવો ફેરો ફરીને જવું પડે છે.તંત્રની બેદરકારી: શંકરપુરા અને વડજ ગામના જાગૃત નાગરિકોએ આ માર્ગ સાફ કરાવવા માટે લાગતા-વળગતા અધિકારીઓને મૌખિક, લેખિત અને રૂબરૂ મુલાકાત લઈને અનેકવાર રજૂઆતો કરી છે.પોકળ આશ્વાસન: ગ્રામજનોના સતત ધક્કાઓ છતાં તંત્ર તરફથી માત્ર એક જ જવાબ મળે છે: “કામ થઈ જશે, ટૂંક સમયમાં કામ શરૂ થશે.”
ગામજનોની માંગ: હાલમાં ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે ગામલોકોની એક જ અપીલ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક આ રસ્તાને સાફ કરાવી અને અવરજવર માટે યોગ્ય બનાવે, જેથી દૈનિક પ્રવૃત્તિઓ માટે ફરીથી સરળતા મળી રહે. ગામજનો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તેની રાહ જોઈ રહ્યા છે.

