કેન્દ્ર સરકાર દ્વારા 21 નવેમ્બર 2025ના રોજ દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં મૂકાશે તેવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં કામદાર વર્ગમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે. પહેલાં કાર્યરત 44 કામદારો સંબંધિત કાયદાઓમાંથી 29 કાયદાઓ રદ્દ કરી, તેમની જગ્યાએ ચાર લેબર કોડ અમલમાં મૂક્યા છે.
આ નવા કોડ મુજબ કાયમી નોકરીની પરંપરા (Permanent Employment) સમાપ્ત કરી ‘કોન્ટ્રાક્ટ પ્રથા’ તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. કામદાર સંગઠનોના મતે આ બદલાવ કામદારોની નોકરીની સુરક્ષા અને હક્કોમાં ઘટાડો કરે છે.
આ કાયદાઓના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે સંયુક્ત કામદાર સમિતિ દ્વારા વિશાળ ધરણું યોજાયું હતું. વિવિધ ઉદ્યોગો, સંગઠનો અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં આ વિરોધમાં જોડાયા હતા અને નવા લેબર કોડને ‘કામદારો વિરોધી’ ગણાવ્યો હતો.
સંયુક્ત કામદાર સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ બપોરે 03:00 વાગ્યે તમામ કામદારો જિલ્લા કલેક્ટર કચેરી પર જઈ વડાપ્રધાનના નામે પત્ર સોંપશે, જેમાં લેબર કોડના અમલને પાછો ખેંચવાની માંગ કરવામાં આવશે.
કામદાર સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ માંગોને ગંભીરતાથી નહીં લે તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.

