વડોદરામાં નિ સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવવા વિશિષ્ટ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કમાટી બાગ ખાતે આયોજિત આ સેવા કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ દિવ્યાંગોને અનાજ કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું.
આ આયોજનની વિશેષતા એ રહી કે ટ્રસ્ટ સાથે સંકળાયેલા સુર્વેભાઈના સુપુત્રના જન્મદિવસના અવસરે આ સેવા કાર્ય પ્રેરણાદાયી રીતે યોજાયું હતું. અગાઉથી સંસ્થા સાથે સેવાભાવે જોડાયેલા દાતા હસમુખભાઈ તડવી સહિતના દાતાશ્રીઓએ હાજર રહીને દિવ્યાંગોને સહાયરૂપ થવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
નિ સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમયાંતરે દિવ્યાંગોના ઉત્થાન, સહાય અને પ્રોત્સાહન માટે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજતું રહે છે. કાર્યક્રમ દરમિયાન ડૉ. સલીમ વોરાએ જણાવ્યું હતું કે, “જન્મદિવસ જેવા પારિવારિક પ્રસંગોની ઉજવણી જ્યારે સમાજના વંચિત વર્ગ વચ્ચે કરવામાં આવે છે ત્યારે તેનો આનંદ અનેકગણો વધી જાય છે.”
ટ્રસ્ટના સભ્યોએ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં પણ આવી સેવાપ્રવૃત્તિઓ વધુ વ્યાપક રીતે ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી.

