વડોદરા : શહેરમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટરો તથા કાર્યકરોએ મોટી સંખ્યામાં ખોટા વાંધાઓ દાખલ કર્યા છે, જેના કારણે સાચા મતદારોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર શહેરની પાંચ વિધાનસભા બેઠકમાં કુલ 47 હજારથી વધુ મતદારો સામે વાંધાઓ લેવામાં આવ્યા છે. આ મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆત અને આવેદન આપ્યા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમ પક્ષે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે ખોટા વાંધા ઉઠાવનારાઓ સામે અત્યાર સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી અને સાચા મતદારોને પણ બિનજરૂરી રીતે વાંધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે તેમજ ખોટા વાંધા લેનાર સામે ગંભીર ગુના દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
આ મામલે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં શહેરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

