વડોદરા જિલ્લાના કરજણ પાસે નેશનલ હાઈવે–48 પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ–ધાવટ ચોકડી નજીકના બ્રિજ પર સાઈડમાં ઊભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતની જાણ થતાં કરજણ ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી અને દોઢ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બસમાં ફસાયેલા 25થી વધુ મુસાફરોને બહાર કાઢ્યા. ઘટનાસ્થળે અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેઠેલા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડે સ્ટ્રેચરની વ્યવસ્થા કરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.

