ચૈત્ર નવરાત્રીના પાવન અષ્ટમી પર્વે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી હતી.
સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેમાં ચૈત્ર સુદ આઠમનો દિવસ ખાસ પવિત્ર ગણાય છે. આ અવસરે ભક્તો શ્રીફળ, ચુંદડી, ફૂલહાર અને પ્રસાદી સાથે માતાજીના ચરણોમાં અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.
અષ્ટમીના આ પાવન દિવસે મંદિર તરફથી વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

