છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મરાઠા સમુદાય અને શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શહેરના શિવરાય ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત વેશભૂષા, કેસરી સાફા અને “જય ભવાની, જય શિવાજી”ના નાદ સાથે ભવ્ય સવારી નીકળતા શહેરનો માહોલ શિવમય બની ગયો હતો.
શોભાયાત્રામાં મહિલાઓ, યુવાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ શિવાજી મહારાજના જીવન પ્રસંગો દર્શાવતા પ્લોટ, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ શોભાયાત્રા વડોદરા શહેરના સલાટવાડા ખાતેથી પ્રસ્થાન કરી રાવપુરા કોઠી ચાર રસ્તા, જયુબેલી બાગ, ન્યાય મંદિર, લહેરીપુરા રોડ થઈ બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સમાપન પામશે.
શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાયકવાડ સમુદાય સહિત મહારાષ્ટ્રિયન સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાયા હતા.

