વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પાયોનીયર મેડિકલ કોલેજમાં થોડા દિવસ પહેલા બનેલા વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના બનાવ બાદ કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. આ મામલે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકર્તાઓએ આજે કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
માહિતી મુજબ, બીએએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં બે પ્રોફેસરો દ્વારા જાહેરમાં જાતિ વિષયક ઉચ્ચારણ અને માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ એસ.ટી./એસ.સી. સેલ દ્વારા હાથ ધરાઈ રહી છે અને પોલીસે બંને પ્રોફેસરોને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે.
આ મુદ્દે NSUI પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશી પ્રિન્સિપાલ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેસી ગયા હતા. કાર્યકર્તાઓએ બંને પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી, જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવા માનસિક શોષણનો ભોગ ન બને.
વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાતા કપુરાઇ પોલીસે કાર્યવાહી કરી 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
કોલેજ તંત્ર દ્વારા બંને પ્રોફેસરોને ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે તેમજ સમગ્ર મામલે તપાસ માટે આંતરિક કમિટી રચી રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. છતાં હજુ સુધી કોઈ સસ્પેન્શન અથવા શિસ્તભંગની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

