વડોદરા શહેરમાં ધુળેટી પર્વ નિમિત્તે વિવિધ સમાજો દ્વારા હોળી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે, આર્ય કન્યા વિદ્યાલય પ્રાંગણમાં વૈષ્ણવ શર્મા સમાજ વડોદરા દ્વારા ભવ્ય હોલી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરમાં વસવાટ કરતા વૈષ્ણવ શર્મા સમાજના મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ફૂલોની વર્ષા, રંગ-ગુલાલ અને સંગીતની મોજ સાથે સૌએ હોળી ઉત્સવની આનંદમય ઉજવણી કરી હતી. સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે સમાજના આગેવાનો ગોપીચંદ શર્મા, ટુડે ન્યૂઝ ચેનલના સંપાદક અશોક શર્મા, ખેમચંદ શર્મા, પ્રવીણ શર્મા, નિલેશ શર્મા, મુનેશ શર્મા, સુરેશભાઈ શર્મા તેમજ દીપ લાઇન મહાગુજરાત ન્યૂઝના તંત્રી સતીશ શર્મા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને રંગ અને ગુલાલ લગાવી હોળી અને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી અને ભારતીય સંસ્કૃતિના આ મુખ્ય તહેવારને એકતા, આનંદ અને ભાઈચારા સાથે ઉજવ્યો હતો. કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજજનો પ્રસાદરૂપે ભોજનનો લાભ લીધો હતો.
આ રીતે ઉત્સાહ અને સૌહાર્દના માહોલ વચ્ચે હોલી મિલન સમારોહની સફળ પૂર્ણાહુતિ થઈ હતી.

