ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ડીઝલ અને પેટ્રોલની સંભવિત તંગી અંગે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દહેશતના પગલે વિસાવદરના વિવિધ પેટ્રોલ પંપ ઉપર ઈંધણ લેવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી.
ખાસ કરીને ખેડૂતોએ ટ્રેક્ટર અને બેરલ લઈને ડીઝલ-પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લગાવી હતી. લોકોનું માનવું છે કે જો ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સપ્લાય પર અસર થઈ શકે છે, જેના કારણે ભારતમાં પણ ઈંધણની અછત ઊભી થઈ શકે છે.
વિસાવદરના Reliance Industries Limited સંચાલિત પેટ્રોલ પંપની મુલાકાત દરમિયાન સંખ્યાબંધ વાહનોની કતાર જોવા મળી હતી. દરેક વ્યક્તિ વચ્ચે એક જ ચર્ચા હતી—ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની તંગી ઊભી થઈ શકે છે.
લોકોનું કહેવું છે કે આસપાસના ગામો અને નાના શહેરોમાં પણ ઈંધણનો જથ્થો ઓછો થતો જઈ રહ્યો છે, જેના કારણે ચિંતા વધી રહી છે. હાલ લોકો આગોતરા સાવચેતી તરીકે ડીઝલ અને પેટ્રોલનો સ્ટોક કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

