ડભોઈ તાલુકાના મંડાળા ગામના વતની અને હાલ યુ.એસ.એ. સ્થિત રાજેન્દ્રભાઈ મધુસુદનભાઈ પટેલ તથા અ.સૌ. ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા–પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત “મધુહંશ દ્વાર”નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંશ દ્વારનું લોકાર્પણ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોશનભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિલીપભાઈ નાગણભાઈ પટેલ, અમરસિંહભાઈ પટેલ, સમીરભાઈ છીબુલાલ ભટ્ટ, સુધાકરભાઈ પટેલ, વિનુભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ ડભોઇ શશીકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રવેશ દ્વાર એ માત્ર માળખું નથી પરંતુ તે ગામની એકતા, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. દાતાએ દાન આપ્યું હોવા છતાં જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈ પણ સારો કાર્ય સફળ થતો નથી. તેમણે દાતાશ્રીના પરિવાર સાથે સાથે આ પ્રવેશ દ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રવેશ દ્વાર સામે વાઘેશ્વરી માતાનું મંદિર અને સરદાર પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતીક બની છે. પૌરાણિક કાળથી પ્રવેશ દ્વારો ગામને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવ્યા છે અને મંડાળા ગામનું મધુહંશ દ્વાર પણ ગામમાં શાંતિ, સુખ અને સૌહાર્દની ભાવના જળવાય તે માટે સકારાત્મક શક્તિનું પ્રતીક બનશે.
આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વે સભ્યો, ગામના નાગરિકો તથા આસપાસના વિસ્તારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી.

