વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાકી મિલકત વેરાને લઈને મકરપુરા એસટી ડેપોને સીલ કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ ડેપો પર આશરે ₹1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો. વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ વેરાની ચૂકવણી ન થતાં પાલિકાએ આ કડક પગલું ભર્યું હતું.
આ કામગીરી માટે પાલિકાના અધિકારીઓનો કાફલો સવારે ડેપો પરિસરમાં પહોંચ્યો હતો અને ડેપો પરિસરને સીલ કરવામાં આવ્યું હતું. પાલિકાની આ કાર્યવાહીથી ડેપો પર આવેલા મુસાફરોમાં થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
મુસાફરોને પડતી હાલાકી ધ્યાનમાં રાખીને લગભગ બે કલાક બાદ પૂછપરછ (ઇન્ક્વાયરી) ઓફિસને ખુલ્લી કરવામાં આવી હતી, જેથી મુસાફરોને જરૂરી માહિતી મળી શકે.
પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેપોને અગાઉ પણ મિલકત વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વેરો ન ભરાતા અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

