વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Vadodara Central Jail માં કાચા કામના આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા (ઉંમર 63)નું મોત થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોક અને આક્રોશનું વાતાવરણ સર્જાયું છે.
માહિતી મુજબ, જયેશભાઈ પંડ્યા વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલી સુભાષપાર્ક સોસાયટીના રહેવાસી હતા. તેઓને બે કામદારોના મોત સાથે જોડાયેલા બેદરકારીના કેસમાં 5 માર્ચ 2026ના રોજ ધરપકડ કરી જેલમાં કાચા કામના આરોપી તરીકે મોકલવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ વારાસણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105 અને 54 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે સવારે તેમનું રૂટિન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક Sir Sayajirao General Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જેલ તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
આ ઘટના બાદ કસ્ટડીમાં મોતને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

