ચૈત્ર નવરાત્રીની આઠમે વડોદરાના બહુચરાજી મંદિરે ભક્તોની ભીડ, દર્શન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ
વડોદરા શહેરમાં ગાયકવાડી સમયથી સ્થાપિત ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજના પવિત્ર દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં પણ આઠમના દિવસે વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ચૈત્ર નવરાત્રીની આઠમનો મહિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ દિવસને જપ-તપ અને અનુષ્ઠાન માટે અત્યંત પવિત્ર ગણવામાં આવે છે.
આ પ્રસંગે મંદિરોમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. શહેરભરમાં ભક્તિભાવ સાથે નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે અને મંદિરોમાં દિવસભર શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહી હતી.

