વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવ આવેલી છે. જે તંત્રની બેદરકારીના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. આ તળાવમાં રબારી સમાજ દ્વારા માતાજીના જવારા નું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે તેની યોગ્ય સાફ-સફાઈ તંત્ર દ્વારા કરવામાં ન આવતા સ્થાનિક આગેવાને દુઃખ વ્યક્ત કર્યું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણી ની વાતો કરવામાં આવે છે તે વચ્ચે વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે જેની યોગ્ય દેખરેખ કે સાફ-સફાઈ રાખવામાં આવતી નથી જેના કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી રહી છે. સાથે સાથે વાવ ની અંદર દારૂ બિયરના ખાલી બોટલો પણ જોવા મળે છે. જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વો નો પણ ત્યાં અડ્ડો હોઈ શકે છે. ત્યારે આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ રોષ વ્યક્ત કર્યો હતો. અને તંત્રને તાત્કાલિક ધોરણે આ વાવની સાફ-સફાઈ કરવા અપીલ કરી હતી. સ્થાનિક રબારી સમાજના આગેવાને જણાવ્યું હતું કે દર વર્ષે અમે માતાજીના જવારા આવું આ વાવ માં પધરાવીએ છીએ. અમે આ વાવની સાફ-સફાઈ કરવા વોર્ડ કચેરીએ બે થી ત્રણ વાર ફરિયાદ કરી છે. જ્યાં વોર્ડ 17 ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. ત્યારે જો સફાઈ નહીં થાય તો માતાજીના જવારા અમે કેવી રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું હતું.

